સાળંગપુરમાં આવેલા હનુમાનના મંદિર વિશે તો તમે જાણતા જ હશો. થોડા વર્ષો પહેલા અહી હનુમાનજી ની ૫૪ ફૂટની પ્રતિમા મૂકવામાં આવી હતી જે બાદથી જ આ મંદિરની પ્રસિધ્ધિમાં વધારો થયો છે.લોકો આ મંદિર અને હનુમાનજી ને કિંગ ઓફ સાળંગપુર તરીકે ઓળખે છે તેમજ અહીંના હનુમાન દાદામાં અડગ શ્રદ્ધા ધરાવે છે.
અવારનવાર આ મંદિર ભક્તોને કારણે ચર્ચામાં આવતું રહેતું હોય છે.હાલમાં પણ આ મંદિર વિશે સોશિયલ મીડિયા પર અનેક ચર્ચા જોવા મળી રહી છે.જો કે આ ચર્ચા કોઈ ભક્તની શ્રદ્ધા અંગે નહિ પરંતુ મંદિરના ભીંતચિત્રોને લઈને કરવામાં આવી રહી છે.
હાલમાં સાળંગપુર મંદિરના ભીંત ચિત્રોને લઈને હિન્દુ સાધુ સંતો તેમજ હનુમાનના ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ઘટના અંગે વાત કરીએ તો સાળંગપુર મંદિરમાં હનુમાનજીની મૂર્તિની નીચે કણપીઠમાં શિલ્પચિત્રો કંડારવામાં આવ્યા છે.જેમના એકમાં હનુમાન સ્વામિનારાયણ ભગવાનને પ્રણામ કરતાં જોવા મળી રહ્યા છે.આ ભીંતચિત્રોમાં હનુમાનજીને દાસ બતાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ અન્ય એક ચિત્રમાં સહજાનંદ ભગવાન આસન પર બેઠા છે અને હનુમાન હાથ જોડી નીચે બેઠા છે તેવું દર્શાવવામાં આવ્યું છે.
હાલમાંઆ બાબતે સોશિયલ મીડિયામાં અલગ-અલગ લોકો દ્વારા વિરોધ પણ દર્શાવવામાં આવી રહ્યો છે.
કબરાઉ મોગલધામના મણિધર બાપુએ પણ હનુમાન દાદાના ભીંતચિંત્રોને લઇ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું , તમે સનાતન ધર્મ, આખા રાષ્ટ્ર અને ૩૩કરોડ દેવતાનું અપમાન કરી રહ્યા છો, માફી માંગી લેજો નહીં તો ખેર નથી. સાથે જ તેમનેજણાવ્યું કે, હનુમાનજીને ચરણ સ્પર્શ કરતા દેખાડીને સ્વામિનારાયણ સંપ્રદાયે મોટી ભૂલ કરી છે. તેમને પોતાની ભૂલ સ્વીકારવા સાથે માફી માંગવાની ચેતવણી આપી છે.