Cli

અદાણી પર અમેરિકામાં મોટું સંકટ? ₹172 કરોડ આપવા કેમ થયા સંમત?

Uncategorized

ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને સાગર અદાણી તેમના પર અમેરિકાના સિક્યૉરિટીઝ અને ઍક્સચેન્જ કમિશન દ્વારા દાખલ કરવામાં આવેલા છેતરપિંડીના કેસમાં સમાધાન માટે 18 મિલિયન ડૉલરની પૅનલ્ટી ચૂકવવા તૈયાર થઈ ગયા છે.2024માં રેગ્યુલેટરે અદાણી પર ભારતીય અધિકારીઓને રિન્યૂએબલ ઍનર્જી પ્રોજેક્ટ્સ માટે લાંચ આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમના પર

અમેરિકાના રોકાણકારોને લાંચ-રૂશ્વત વિરોધી પદ્ધતિઓ વિશે ગુમરાહ કરવાનો તથા બૉન્ડ ઑફરિંગ વડે ધન એકઠું કરવાનો આરોપ પણ હતો.આ પ્રસ્તાવિત ઑફરને હજુ કોર્ટની મંજૂરી મળવાની બાકી છે પરંતુ આ સમાચાર આવ્યા પછી માર્કેટમાં પૉઝિટિવિટી જોવા મળી છે તથા અદાણી ગ્રૂપના શૅરોમાં આજે ઉછાળો પણ જોવા મળ્યો હતો.અહીં ઉલ્લેખનીય છે કે અદાણી સમૂહ ભારતના વેપારક્ષેત્રમાં ઍરપૉર્ટ્સ તથા ઍનર્જી સેક્ટરની સૌથી મોટી કંપનીઓ પૈકી એક છે.આ પ્રસ્તાવ જોકે આરોપોનો નકાર કે સ્વીકાર કરતો નથી. પરંતુ ભવિષ્યમાં અદાણી સમૂહ અમેરિકાના છેતરપિંડી સામેના કાયદા કે જેમાં ઇન્વેસ્ટમેન્ટ સંબંધિત છેતરપિંડી, સિક્યૉરિટીઝ સંબંધિત છેતરપિંડી તથા માર્કેટ મૅનિપ્યુલેશનનો ભંગ નહીં કરે.

2024માં દાખલ કરવામાં આવેલા કેસમાં સિક્યૉરિટીઝ રેગ્યુલેટરે અદાણી પર અમેરિકાના રોકાણકારો પાસેથી 750 મિલિયન ડૉલર મેળવવાનો આરોપ મૂક્યો હતો. જેમાંથી 175 મિલિયન ડૉલર તેમણે અમેરિકાના રોકાણકારો પાસેથી અદાણી ગ્રીન ઍનર્જીના રિશ્વત વિરોધી નિયમો થકી ગેરમાર્ગે દોરીને મેળવ્યા હતા.જોકે, અદાણી સમૂહે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.ફૉર્બ્સ અનુસાર, 63 વર્ષીય અદાણીની સંપત્તિ 82 અબજ ડૉલરની છે અને તેઓ વિશ્વના ટોચના ધનિક લોકોમાં સામેલ છે.

આ સિવાય ન્યૂ યૉર્ક ટાઇમ્સ, રૉયટર્સ અને બ્લૂમબર્ગે પણ ગુરૂવારે અહેવાલો પ્રકાશિત કર્યા હતા કે યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ ગૌતમ અદાણી સામેના ક્રિમિનલ છેતરપિંડીના મામલાને બંધ કરવા જઈ રહ્યું છે.ન્યૂ યૉર્ક ટાઇમ્સે લખ્યું હતું કે જસ્ટિસ ડિપાર્ટમેન્ટનો આ નિર્ણય એ પછી આવ્યો છે કે જ્યારથી અદાણીએ નવા વકીલોની ટીમને કામ પર લગાડી હતી. આ વકીલોની ટીમને રૉબર્ટ જ્યૉફ્રા જુનિયર નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે જે અમેરિકાની સૌથી શક્તિશાળી લૉ ફર્મ પૈકીની એક છે. તે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અંગત કાયદાકીય સલાહકારો પણ છે.જ્યૉફ્રા એ વકીલો પૈકીના એક છે જેમને ટ્રમ્પે હશ-મની કેસમાં પોતાનો પક્ષ રજૂ કરવા માટે રાખ્યા હતા.ન્યૂ યૉર્ક ટાઇમ્સ

અનુસાર, જ્યૉફ્રા ગત મહિને જસ્ટિસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને મળ્યા હતા અને આ કેસ વિશેની શંકાઓ રજૂ કરી હતી.અદાણીએ 2024માં ડોનાલ્ડ ટ્રમ્પની જીત પછી અમેરિકામાં 10 અબજ ડૉલરનું રોકાણ કરવાનો અને 15 હજાર નોકરીઓનું સર્જન કરવાની જાહેરાત પણ કરી હતી. જો તેમની સામેનો કેસ બંધ કરી દેવામાં આવશે તો તેઓ આવું કરશે એવી વાત પણ જ્યૉફ્રાએ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ સમક્ષ મૂકી હતી.સૂત્રોએ ન્યૂ યૉર્ક ટાઇમ્સને જણાવ્યું હતું કે આ કેસ બંધ થઈ જવો એ ટ્રમ્પના વહીવટીતંત્રનું વિદેશી લાંચ-રિશ્વત કેસો પ્રત્યેના વલણ કરતાં ઘણું બદલાયેલું વલણ દર્શાવે છે.બીબીસીએ યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ અને અદાણી સમૂહનો જવાબ માટે સંપર્ક કરેલો છે. હજુ સુધી ફોજદારી કેસ અંગે અદાણી ગ્રૂપ કે યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ તરફથી કોઈ જવાબ મળ્યો નથી, જ્યારે મળશે ત્યારે અહેવાલમાં ઉમેરી દેવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *