એક પછી એક તૂટી ત્રણ ફિલ્મી કરિયર અને અંગત જીવનને લઈને ચર્ચિત અભિનેત્રી નીલિમા અઝીમનું દર્દ હવે છલકાયું છે. સુપરસ્ટાર શાહિદ કપૂર અને ઈશાન ખટ્ટરની માતા હોવાની સાથે જ તેઓ પોતાના જમાનાના ખૂબ જ પ્રતિભાશાળી અભિનેત્રી રહ્યા છે,
પરંતુ દુનિયાએ તેમની મહેનત કરતા વધુ તેમની નિષ્ફળ લગ્નજીવન પર ધ્યાન આપ્યું.લોકોના મેણા-ટોણાથી કંટાળીને હવે નીલિમાએ પોતાની મૌન તોડ્યું છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે લોકો સત્ય જાણ્યા વગર જ તેમને સોશિયલ મીડિયા પર જજ કરે છે.
કોઈએ તેમની તસવીર પર કમેન્ટ કરી હતી કે દારૂ પીને શું હાલત થઈ ગઈ છે, જ્યારે હકીકત એ છે કે તેઓ દારૂ પીતા જ નથી.નીલિમાએ સ્પષ્ટ કર્યું કે તેમણે ક્યારેય પૈસા કે એશ-આરામ જોઈને લગ્ન નથી કર્યા. તેમણે સાધારણ પણ પ્રતિભાશાળી માણસો સાથે લગ્ન કર્યા હતા. તેમને અફસોસ છે કે લોકોએ તેમના 24 બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ્સ, થિયેટર અને ડાન્સને ભૂલાવીને માત્ર તેમની ત્રણ તૂટેલી શાદીઓને જ યાદ રાખી. લોકો તેમને ‘અનલકી’ કહેતા અને સંબંધો ન નિભાવી શકવાનો દોષ તેમના પર જ મઢતા હતા.
તમને જણાવી દઈએ કે નીલિમાના પહેલા લગ્ન પંકજ કપૂર સાથે થયા હતા, જેનાથી તેમને દીકરો શાહિદ કપૂર છે. ત્યારબાદ રાજેશ ખટ્ટર સાથેના લગ્નથી ઈશાન ખટ્ટરનો જન્મ થયો. તેમના ત્રીજા લગ્ન રઝા અલી ખાન સાથે થયા હતા. ભલે તેમના લગ્ન લાંબા ન ચાલ્યા,
પણ તેમણે પોતાના બંને દીકરાઓને શાનદાર સંસ્કાર આપ્યા છે. આજે શાહિદ અને ઈશાન વચ્ચે જે અતૂટ પ્રેમ અને બોન્ડિંગ જોવા મળે છે, તેનો સંપૂર્ણ શ્રેય નીલિમા અઝીમને જાય છે. નીલિમાનું કહેવું છે કે હવે સત્ય બોલવું જરૂરી છે, કારણ કે જો તમે ચૂપ રહો તો લોકો તમારી વાર્તા પોતાની રીતે લખવા લાગે છે.