ગુજરાતી નાટ્યજગતના એક સુવર્ણ યુગનો અંત : પીઢ અભિનેતા અને દિગ્દર્શક અરવિંદ વેકરિયાએ લીધાઅંતિમ શ્વાસ : કલા જગતમાં ઘેરા શોકની કાલિમા’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના લોકપ્રિય કલાકાર ‘બાધા’ ઉર્ફે તન્મય વેકરિયાના પિતા અને ‘બાપા કમાલ દીકરા ધમાલ’ નાટકના સર્જકના અવસાનથી રંગભૂમિએ ગુમાવ્યો અણમોલ સિતારો
મુંબઈ: ગુજરાતી સંસ્કૃતિની ઓળખ સમાન રંગભૂમિના માંચડા પર દાયકાઓ સુધી પોતાના અભિનયના અવનવા રંગો શુ બિખેરનારા દિગ્ગજ કલાકાર અરવિંદ વેકરિયાએ ફાની દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધી છે. તેમના આકસ્મિક નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતા જ સમગ્ર મનોરંજન જગત સ્તબ્ધ થઈ ગયું છે. દાયકાઓ સુધી પ્રેક્ષકોને હસાવનારા અને રડાવનારા આ સશક્ત કલાકારના જવાથી
ગુજરાતી નાટ્યજગતે પોતાનો એક મજબૂત આધારસ્તંભ ગુમાવ્યો છે. દિવંગત અભિનેતા અરવિંદ વેકરિયા એ દેશ-વિદેશમાં અત્યંત લોકપ્રિય બનેલી ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં ‘બાધા’ ઉર્ફે ‘બાધા બોય’ નું અમર પાત્ર ભજવીને ઘર-ઘરમાં જાણીતા થયેલા કલાકાર તન્મય વેકરિયાના પિતા હતા. પિતા-પુત્રની આ જોડીએ પોતાની અદભુત કલાત્મકતા દ્વારા ગુજરાતી કલા જગતને સમૃદ્ધ બનાવવામાં બહુમૂલ્ય યોગદાન આપ્યું છે
.નાટ્ય નિર્માણ અને દિગ્દર્શનમાં પણ મોટું નામ:રંગભૂમિના આ દિગ્ગજ અભિનેતા માત્ર એક્ટિંગ પૂરતા સીમિત નહોતા, પરંતુ તેઓ નાટક નિર્માણ અને દિગ્દર્શનના ક્ષેત્ર સાથે પણ ખૂબ જ ઊંડાણપૂર્વક જોડાયેલા હતા. પોતાની આગવી અને વિશિષ્ટ અભિનય શૈલીના કારણે તેઓ હંમેશાં દર્શકોના દિલ જીતી લેતા હતા. કલા જગતમાં માઇલસ્ટોન સાબિત થયેલા અને સુપરહિટ નીવડેલા ‘બાપા કમાલ દીકરા ધમાલ’ જેવા અનેક યાદગાર ગુજરાતી નાટકોમાં તેમણે ભજવેલા જીવંત પાત્રો આજે પણ રસીકોના માનસપટલ પર અકબંધ છે. પિતાના આ જ ભવ્ય વારસા અને સંસ્કારોને તેમના પુત્ર તન્મય વેકરિયાએ ખૂબ જ સુંદર રીતે આગળ ધપાવ્યા છે.
તન્મયે પણ પિતાના યોગ્ય માર્ગદર્શન હેઠળ જ શરુઆતમાં નાટકોથી પોતાના કરિયરનો પ્રારંભ કર્યો હતો અને આજે તેઓ વૈશ્વિક સ્તરે નામના મેળવી ચૂક્યા છે.મનોરંજન જગતમાં શોકનું મોજું: કલાકારોએ આપી અંજલિ:અરવિંદ વેકરિયાના અવસાનને પગલે ઢોલીવુડ (ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી), ટેલિવિઝન જગત અને મુંબઈ-ગુજરાતની રંગભૂમિના અનેક જાણીતા કલાકારો, દિગ્દર્શકો તેમજ લેખકોએ ભારે દુઃખ વ્યક્ત કર્યું છે. સોશિયલ મીડિયા પર દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટનો પૂર આવ્યો છે. ‘તારક મહેતા…’ શોની સમગ્ર ટીમે તેમજ અન્ય સાથી કલાકારોએ તન્મય વેકરિયા અને તેમના શોકાતુર પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને પ્રભુ તેમના દિવંગત આત્માને સદ્ગતિ અર્પે તેવી પ્રાર્થના કરી છે.