બહેન માટે તડપ્યા ઋતિક રોશન, મંદિરમાં આખી રાત બેસીને માંગી પ્રાર્થના. મૃત્યુના આરે પહોંચી ગઈ હતી સુનૈના રોશન. ડૉક્ટરોએ અંધત્વ અને કોમાનો ખતરો હોવાનું જણાવ્યું હતું. જ્યારે દીકરીના જીવન પર સંકટ આવ્યું ત્યારે આખો રોશન પરિવાર આઘાતમાં આવી ગયો હતો.
વજન ઘટાડવાની જિદ્દ ક્યારેક જીવન પર કેટલી ભારે પડી શકે છે, તેનું સૌથી મોટું ઉદાહરણ ઋતિક રોશનની બહેન સુનૈના રોશન છે. બહારથી હંમેશા હસતી અને ખુશ દેખાતી સુનૈનાએ પોતાના જીવનના એક એવા દુખદ અધ્યાયનો ખુલાસો કર્યો છે, જેને સાંભળીને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગઈ છે.વર્ષ 2001માં માત્ર ઝડપથી વજન ઘટાડવાની ઇચ્છામાં તેમણે ક્રેશ ડાયેટિંગ શરૂ કરી હતી. પરંતુ તેમને ખબર નહોતી કે આ નિર્ણય તેમને મૃત્યુના દરવાજા સુધી પહોંચાડી દેશે. પોતાની બહેનને સલામત અને સ્વસ્થ જોવા માટે ઋતિક રોશને આખી રાત મંદિરમાં બેસીને પૂજા અને પ્રાર્થના કરી હતી. તેઓ સતત ભગવાનને વિનંતી કરતા રહ્યા કે તેમની બહેન જલ્દીથી સાજી થઈ જાય.
સુનૈના રોશને તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું કે ખરાબ ડાયેટ અને નબળી પડતી રોગપ્રતિકારક શક્તિના કારણે તેમને ટીબી મેનિન્જાઇટિસ જેવી ગંભીર બીમારી થઈ હતી. તેમની સ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે ડૉક્ટરોએ પરિવારને સ્પષ્ટ કહી દીધું હતું કે તેમને લકવો આવી શકે છે, આંખોની રોશની જતી રહી શકે છે અથવા તેઓ કોમામાં પણ જઈ શકે છે.
આ વાત સાંભળીને આખો રોશન પરિવાર તૂટી પડ્યો હતો. સુનૈનાએ જણાવ્યું કે ઘણા દિવસો સુધી તેમને ભાન જ નહોતું. હોસ્પિટલનો દરેક દિવસ પરિવાર માટે એક ડરામણા સપના જેવો હતોઆ મુશ્કેલ સમયમાં સૌથી વધુ વ્યથિત જો કોઈ હતો તો તે તેમના ભાઈ ઋતિક રોશન હતા. બહેનની ગંભીર હાલત જોઈને ઋતિક એટલા દુઃખી થઈ ગયા હતા કે તેમણે આખી રાત મંદિરમાં બેસીને માત્ર તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. તેઓ કોઈપણ રીતે પોતાની બહેનને ફરીથી સ્વસ્થ જોવા માંગતા હતા.
સુનૈના લગભગ એક મહિના સુધી હોસ્પિટલમાં દાખલ રહી હતી. ત્યારબાદ પણ ખતરો સંપૂર્ણપણે ટળ્યો નહોતો. તેથી તેમને ચાર મહિના સુધી ઘરે રહીને ભારે દવાઓ લેવી પડી હતી.
આ સમગ્ર અનુભવએ તેમને અંદરથી બદલી નાખ્યા. તેમણે સ્વીકાર્યું કે ઝડપથી વજન ઘટાડવાની ઇચ્છામાં તેમણે પોતાના સ્વાસ્થ્યની સંપૂર્ણ અવગણના કરી હતી.
સુનૈના કહે છે કે તેઓ પોતાની કહાની એટલા માટે શેર કરી રહી છે જેથી લોકો સમજી શકે કે કોઈપણ ફિટનેસ ગોલ જીવન અને સ્વાસ્થ્ય કરતાં મોટો નથી. સોશિયલ મીડિયા પર દેખાતા ઝડપી વજન ઘટાડવાના ટ્રેન્ડ્સ કેટલા જોખમી હોઈ શકે છે, તેનો દુખદ અનુભવ તેઓ પોતે કરી ચૂક્યા છે.
તેમણે લોકોને અપીલ કરી કે શોર્ટકટ્સ છોડો અને યોગ્ય આહાર તેમજ સ્વસ્થ જીવનશૈલી અપનાવો.
સુનૈનાની આ પોસ્ટ પર તેમની માતા પિંકી રોશન પણ ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. તેમણે લખ્યું કે 25 વર્ષ પછી પણ તે સમયને યાદ કરવો સરળ નથી. જ્યારે તેમના પિતા રાકેશ રોશને દીકરીની હિંમતની પ્રશંસા કરતાં કહ્યું કે તેની કહાની અનેક લોકોને પ્રેરણા અને હિંમત આપશે.
જેઓ નથી જાણતા તેમને જણાવી દઈએ કે સુનૈના રોશન એક લેખિકા, વેલનેસ એડવોકેટ અને પ્રોડ્યુસર છે, અને આજે તેમની જીવનકથા અનેક લોકોને પ્રેરણા આપી રહી છે.