ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષમાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદ ભારતમાં ઘણી જગ્યાએ અમેરિકા અને ઈઝરાયેલ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો જોવા મળી રહ્યા છે, જેમાં ખાસ કરીને શિયા સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ મુદ્દે ઓલ ઈન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડ (ગુજરાત) ના વાઈસ પ્રેસિડેન્ટ મૌલાના હસન અલી રજાનીએ મહત્વનું નિવેદન આપ્યું છે.આજતક સાથેની વાતચીતમાં મૌલાનાએ જણાવ્યું હતું કે, જેમના ઘરે આ દુખદ ઘટના બની છે
તેમને અમે સાંત્વના પાઠવીએ છીએ, પરંતુ વિશ્વભરમાં જે હંગામો અને વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે તેની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, ખામેનેઈ અમારા મુસ્લિમ નેતા કે રહનુમા નથી, તેઓ માત્ર ઈરાનના રાજકીય નેતા હતા. આખી દુનિયાના શિયાઓ ઈરાકના આયાતુલ્લા સિસ્તાનીને પોતાના આદર્શ અને રહબર માને છે.
ખામેનેઈના ફોટા કે પુસ્તકો સામાન્ય શિયાઓના ઘરે હોતા નથી. મુંબઈ કે કાશ્મીરમાં જે જૂજ લોકો વિરોધ કરી રહ્યા છે તેઓ બીજાને ભડકાવી રહ્યા છે, જેના કારણે દેશમાં હંગામો થઈ રહ્યો છે. ભારતમાં પણ શિયા મુસ્લિમોએ આવો વિરોધ ન કરવો જોઈએ.તેમણે વધુમાં કહ્યું કે, જે રીતે ખામેનેઈના મૃત્યુ પર અહીં પ્રદર્શનો થાય છે, તેવું બીજા કોઈ માટે જોવા મળતું નથી. છેલ્લા 40 વર્ષમાં 2 કરોડથી વધુ મુસ્લિમો માર્યા ગયા તેના પર કોઈ બોલતું નથી, પણ ભારતમાં કઈં થાય તો આખી દુનિયા બૂમો પાડે છે. સત્ય તો એ છે કે મુસ્લિમ દેશોમાં ભારતીયોને માણસ પણ ગણવામાં આવતા નથી.
પોતાના ઈરાન પ્રવાસના અનુભવો શેર કરતા મૌલાનાએ જણાવ્યું કે, હું ત્યાં 10 વર્ષ રહ્યો છું. ત્યાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ ભારે હાલાકીમાં જીવે છે. જો કોઈ ભૂલથી પણ ત્યાંના કોઈ નેતા કે ચપરાસીની બૂરાઈ કરી દે તો તેને જેલમાં નાખી દેવામાં આવે છે. ત્યાંના રસ્તા કે માચીસની પણ ટીકા કરવાની છૂટ નથી. આ લોકો ભારતમાં આવીને આપણને કહે છે કે ખામેનેઈના ફોટા રાખો અને અમેરિકાની એમ્બેસી પર હુમલા કરો. તેઓ આપણને અફઘાનિસ્તાનના તાલિબાનની જેમ શહાદત આપવા ઉશ્કેરે છે.
મેં તેમને સ્પષ્ટ કહ્યું હતું કે તમારે તમારા દેશમાં સત્તા મેળવવી હોય તો જાતે લડો, તમારા ઝઘડા અમારા પર ન થોપો. અમને અહીં શાંતિથી જીવવા દો.મૌલાનાએ અંતમાં ઉમેર્યું કે, વિશ્વમાં જ્યાં પણ શિયા મુસ્લિમો હેરાન થાય છે તેનું કારણ એ છે કે તેઓ પોતાના દેશને બદલે ઈરાન-ઈરાન કરે છે. જો દરેક મુસ્લિમ પોતાના દેશને વફાદાર થઈ જાય તો આખી દુનિયાના મુસ્લિમો શાંતિથી રહી શકશે. ભારતમાં મુસ્લિમો જેટલા સુરક્ષિત છે એટલા આખી દુનિયામાં ક્યાંય નથી. બીજા દેશોમાં તો મુસ્લિમો કેદી જેવું જીવન જીવે છે.