બૃહન્મુંબઈ મહાનગરપાલિકા(BMC)માં સત્તાના સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. BMC ચૂંટણીમાં અલગ લડ્યા બાદ હવે અજિત પવારની NCP મહાયુતિ ગઠબંધન હેઠળ સત્તાધારી પક્ષો સાથે હાથ મિલાવવાની તૈયારી કરી રહી છે.મુંબઈ મહાનગરપાલિકામાં અજિત પવાર જૂથના 3 નગરસેવકો ચૂંટાઈ આવ્યા છે.
રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે આ ત્રણેય નગરસેવકો શિવસેના (શિંદે જૂથ) સાથે મળીને એક ‘સાંઝુ’ અથવા સંયુક્ત જૂથ રજિસ્ટર કરાવી શકે છે. આ પગલું મહાયુતિની અંદર એક નવા સત્તા-સમન્વયની દિશામાં મોટો સંકેત માનવામાં આવે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, BMCમાં ભાજપ પોતાનું સ્વતંત્ર જૂથ બનાવવાની વિચારણા કરી રહ્યું છે. આનાથી એવા સંકેત મળે છે કે મહાયુતિના ત્રણેય પક્ષો – ભાજપ, શિવસેના (શિંદે જૂથ) અને NCP (અજિત પવાર) પોતાની રણનીતિ મુજબ અલગ-અલગ નોંધણી કરાવી શકે છે, પરંતુ સત્તા સંચાલનમાં તેઓ એકબીજા સાથે સમન્વય જાળવી રાખશે.
આજે યોજાનારી નોંધણી પ્રક્રિયા દરમિયાન અજિત પવારની NCP પણ શિંદે સેના સાથે મળીને BMCમાં પોતાનું જૂથ જાહેર કરી શકે છે તેવી અટકળો તેજ બની છે. જો આમ થશે, તો BMCના સત્તા માળખામાં મહાયુતિની અંદર એક નવું અને રસપ્રદ જોડાણ જોવા મળશે જે આગામી સમયમાં મુંબઈના રાજકારણ પર મોટી અસર કરી શકે છે.