તેહરાનની શેરીઓ આજે નાની પડી ગઈ હતી. પ્રસંગ હતો દેશના રાષ્ટ્રીય સુરક્ષા પ્રમુખ અલી લારીજાનીની અંતિમ વિદાયનો. ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયેલા લારીજાનીના જનાજામાં એટલો મોટો માનવમહેરામણ ઉમટ્યો કે આખી દુનિયા જોતી રહી ગઈ. લાખો લોકોની આંખોમાં આંસુ ઓછા અને આક્રોશ વધારે હતો.અલી લારીજાની પર તેહરાનના રહેણાંક વિસ્તારમાં હુમલો થયો હતો
જ્યારે તેઓ પોતાની પુત્રીને મળવા ગયા હતા. ઈઝરાયેલની સેનાએ તે રહેણાંક ઈમારતને નિશાન બનાવીને ચોકસાઈપૂર્વક એર સ્ટ્રાઈક કરી હતી. આ હુમલામાં માત્ર લારીજાની જ નહીં, પણ તેમના પુત્ર મુર્તઝાનું પણ મોત થયું હતું. ઈઝરાયેલના રક્ષા મંત્રીએ આ હુમલાની જાહેરાત કરી હતી, જેની પુષ્ટિ સુપ્રીમ નેશનલ સિક્યોરિટીએ પણ કરી છે.
ઈઝરાયેલનો ટાર્ગેટ લારીજાનીની સાથે નેવી ચીફ ગુલામ રઝમાની પણ હતા. આ જનાજામાં તે 84 ઈરાની નૌસૈનિકોના શબ પણ સામેલ હતા જેઓ હિંદ મહાસાગરમાં સબમરીન હુમલાનો શિકાર બન્યા હતા.એક સાથે આટલું મોટું નેતૃત્વ ગુમાવવું એ ઈરાન માટે અત્યાર સુધીનો સૌથી મોટો ફટકો માનવામાં આવે છે. આ ઘટના બાદ ઈરાનની અંદર જાસૂસોને પકડવાનું અભિયાન શરૂ થઈ ગયું છે અને લગભગ 100 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અલી લારીજાની માત્ર એક રાજદ્વારી નહોતા, પરંતુ તેઓ પરમાણુ વાટાઘાટોના માસ્ટરમાઇન્ડ અને સર્વોચ્ચ નેતાના અત્યંત નજીકના વ્યક્તિ હતા. ઈઝરાયેલ આ હુમલા દ્વારા ઈરાનના નેતૃત્વને નબળું પાડવા માંગે છે,
પરંતુ હવે આખી દુનિયાની નજર ઈરાનના આગામી પગલા પર છે.જનાજામાં હાજર લોકો અને વક્તાઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે ઈરાની જનતા બહાદુર છે અને તેઓ ક્યારેય મેદાન છોડશે નહીં. તેઓએ પ્રતિજ્ઞા લીધી કે તેઓ રાત-દિવસ રસ્તાઓ પર રહીને પોતાના દેશની રક્ષા કરશે
અને શહીદોના લોહીનો બદલો લેશે. ‘અલ્લાહુ અકબર’ ના નારા સાથે લોકોએ એકતા દર્શાવી અને સંદેશ આપ્યો કે તેઓ પોતાના નેતા અને દેશને ક્યારેય એકલા નહીં છોડે. તેઓએ લારીજાનીના નવ મહિનાના યુદ્ધના યોગદાનને યાદ કર્યું અને કહ્યું કે તેમનું બલિદાન એળે નહીં જાય. જનતાએ સંકલ્પ કર્યો કે તેઓ આ પવિત્ર લડાઈ ચાલુ રાખશે અને દુશ્મનના દરેક ષડયંત્રને નિષ્ફળ બનાવશે.