તિહાડ જેલમાં બંધ અભિનેતા રાજપાલ યાદવને લઈને દિલ્હી હાઇકોર્ટમાં થયેલી કાર્યવાહી બાદ બંને પક્ષના વકીલોએ પોતપોતાનું વલણ રજૂ કર્યું છે.રાજપાલ યાદવના વકીલ ભાસ્કર ઉપાધ્યાયે જણાવ્યું કે વિરોધી પક્ષે તેમની જામીન અરજીનો જવાબ સમયસર આપ્યો નહોતો, તેથી સુનાવણી સ્થગિત થઈ. તેમણે કહ્યું કે રાજપાલ યાદવે ક્યારેય પૈસા ચૂકવવાથી ઇનકાર કર્યો નથી.
તેમણે 5 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું અને સહમતિ આદેશ મુજબ ચુકવણી કરવાની તૈયારી દર્શાવી હતી. આજે તેઓ 50 લાખ રૂપિયાનું ચેક લઈને પણ હાજર રહ્યા હતા. તેમનું કહેવું છે કે મામલાની સુનાવણી કાનૂની આધારે થવી જોઈએ અને સોમવાર સુધી જવાબ મળવાની આશા છે.
બીજી તરફ વિરોધી પક્ષના વકીલ અવનીત સિંહ સિક્કાએ જણાવ્યું કે રાજપાલ યાદવે સજા સામે પડકાર કર્યો હતો, પરંતુ અદાલતે તેને આધારહીન ગણાવીને સજા સ્થગિત કરવાની અરજી નામંજૂર કરી. તેમણે કહ્યું કે 1.5 કરોડ રૂપિયાના ચેક પર સહી કરવામાં આવી હતી અને ચેક બાઉન્સ થયા બાદ તેમને 3 મહિનાની સજા અને 1 કરોડ 35 લાખ રૂપિયાનું દંડ ફટકારવામાં આવ્યો હતો.
દંડ ભરાયો નહોતો અને બાકી રકમ ચુકવવામાં નિષ્ફળ જતા અદાલતે 2 ફેબ્રુઆરીએ સરેન્ડર કરવા સમય આપ્યો હતો. છતાં સમયસર આત્મસમર્પણ ન થતા વધુ સમય માંગવામાં આવ્યો.હાલમાં મામલો અદાલતમાં વિચારાધીન છે અને આગામી સુનાવણીમાં શું નિર્ણય આવે છે તે મહત્વપૂર્ણ રહેશે.