મહારાષ્ટ્રના તત્કાલીન ઉપમુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનાને લઈને રાજકીય વર્તુળોમાં ફરી ચર્ચા તેજ બની છે. શું આ માત્ર એક અકસ્માત હતો કે પછી તેની પાછળ કોઈ સાજિશ હોઈ શકે? આ પ્રશ્ન હવે વધુ ગંભીર બની ગયો છે, કારણ કે એનસીપી શરદ પવાર જૂથના વિધાનસભ્ય અને અજિત પવારના ભત્રીજા રોહિત પવારે તપાસ પર સવાલ ઉઠાવ્યા છે.
28 જાન્યુઆરીએ બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું દુઃખદ અવસાન થયું હતું. 10 ફેબ્રુઆરીએ રોહિત પવારે પ્રેસ કોન્ફરન્સ કરીને આ ઘટનાને લઈને અનેક પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં વિવિધ સ્ત્રોતોથી એકત્રિત કરેલી માહિતીના આધારે આ ઘટનામાં સાજિશની સંભાવના નકારી શકાય તેમ નથી.રોહિત પવારે CID દ્વારા ચાલી રહેલી તપાસની ક્ષમતા પર પણ શંકા વ્યક્ત કરી.
તેમના મતે આ ઘટનાની તપાસ કોઈ સ્વતંત્ર તૃતીય પક્ષ એજન્સી દ્વારા થવી જોઈએ, જેમ કે નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ, ફ્રાન્સનું બ્યુરો ઓફ ઇન્ક્વાયરી એન્ડ એનાલિસિસ ફોર સિવિલ એવિએશન સેફ્ટી અથવા બ્રિટનની એર એક્સીડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ.તેમણે લગભગ એક કલાકની પ્રેઝન્ટેશનમાં 54 સ્લાઇડ દ્વારા 27 જાન્યુઆરીથી અજિત પવારની પ્રવૃત્તિઓનો વિગતવાર ઉલ્લેખ કર્યો. આ પ્રેઝન્ટેશનમાં વિમાન માલિક કંપની VSR ના આંતરિક વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ પણ દર્શાવવામાં આવ્યા. દાવા મુજબ આ ચેટમાં પાઇલટની દારૂ પીવાની આદત અંગે ચર્ચા થઈ હતી.રોહિત પવારે જણાવ્યું કે દુર્ઘટના પહેલાં અજિત પવારનો પ્રવાસ આયોજન છેલ્લી ક્ષણે બદલાયો હતો. મૂળ યોજના મુજબ તેઓ કાર દ્વારા મુંબઈ જવાના હતા,
પરંતુ મીટિંગ મોડું ચાલતાં અંતિમ ક્ષણે વિમાન બુક કરવામાં આવ્યું. તેમણે ફ્લાઇટ શેડ્યૂલમાં ફેરફાર, ઓછી દૃશ્યતા હોવા છતાં લેન્ડિંગ, રનવે 11 નો ઉપયોગ, વિમાનને સમય પહેલાં ઓછી ઊંચાઈએ લાવવું, ATC ટ્રાન્સક્રિપ્ટ અને મંત્રાલયની રિપોર્ટમાં તફાવત, તેમજ ક્રેશ પહેલાં એક મિનિટે ફ્લાઇટ રડાર ડેટા બંધ થવા જેવી બાબતો પર પ્રશ્નો ઉઠાવ્યા.તેમણે દાવો કર્યો કે પાઇલટને ભૂતકાળમાં દારૂ સંબંધિત કારણોસર ત્રણ વર્ષ માટે ઉડાનથી દૂર રાખવામાં આવ્યો હતો અને અમેરિકા ટ્રેનિંગ દરમિયાન પણ નશાની હાલતમાં પકડાયા બાદ પાછા મોકલવામાં આવ્યા હતા.
જોકે રોહિત પવારે સ્પષ્ટ કર્યું કે તેઓ સીધો આરોપ નથી લગાવી રહ્યા, પરંતુ તેમના નેતા અને કાકાના અવસાન અંગે સત્ય બહાર આવવું જોઈએ.આ ઘટના પછી DGCA એ VSR વેન્ચર્સની વિશેષ ઓડિટ શરૂ કરી છે અને દેશભરના નોન રેગ્યુલર વિમાન ઓપરેટર્સનું બે તબક્કામાં ઓડિટ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.હાલ પરિસ્થિતિ એવી છે કે સત્તાવાર તપાસ ચાલુ છે અને અંતિમ નિષ્કર્ષ આવવાનો બાકી છે. એક તરફ પરિવારના સભ્ય દ્વારા સાજિશની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, તો બીજી તરફ સત્તાવાર એજન્સીઓ તપાસમાં લાગી છે. સાચું શું છે તે માત્ર નિષ્પક્ષ અને પારદર્શક તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.