આજથી રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે. આ કામગીરી માટે ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે.રાજકોટ મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં 1000થી વધુ મકાનોનું દબાણ દૂર કરવામાં આવ્યું છે.
રવિવારે લગભગ એક હજાર સુરક્ષાકર્મીઓએ જંગલેશ્વર વિસ્તારમાં પગપાળા ફ્લૅગમાર્ચ કર્યું હતું. એ પહેલાં સ્વૈચ્છાએ ઘર ખાલી કરી દેવા તથા સામાન બહાર કાઢી લેવા તંત્ર દ્વારા રહીશોને સમજાવવામાં આવ્યા હતા.રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશનના જણાવ્યા પ્રમાણે, એક હજાર 489 ગેરકાયદેસર ઇમારતોને તોડી પાડવા માટે કામગીરી હાથ ધરવામાં આવનાર હતી.
જોકે, રવિવાર સાંજ સુધીમાં લગભગ એક હજાર 250 લોકોએ સ્વૈચ્છાએ ઘર ખાલી કરી દીધાં છે અને સામાન ખાલી કરી આપ્યો છે.સ્થાનિક મીડિયામાં આ ડિમોલિશનની કામગીરીને ‘સૌરાષ્ટ્રની સૌથી મોટી’ ડિમોલિશન કામગીરી જણાવાય રહી છે
શનિવાર બાદ રવિવારે પણ સુરક્ષાબળોએ જંગલેશ્વર વિસ્તારમાં ફ્લૅગમાર્ચ કર્યું હતું અને લોકોને તેમના મકાનો ખાલી કરી દેવા માટે કહેવામાં આવ્યું હતું.રાજકોટ ઝોન-1ના ડીસીપી (ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ) હેતલ પટેલે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું, “આ ડિમોલિશનની કામગીરીમાં રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશન (આરએમસી), ફાયર બ્રિગેડ, પોલીસ અને મેડિકલની ટીમો સામેલ થશે. મ્યુનિસિપલ કૉર્પોરેશન વિસ્તારમાં જંગલેશ્વર વિસ્તારના સાત ઝોન પાડવામાં આવ્યા છે અને સાતેય ઝોનમાં એકસાથે કામગીરી શરૂ થશે.”
વધુમાં તેમણે જણાવ્યું કે, “વૃદ્ધો અને મહિલાઓને જોતાં તથા કોઈની ધાર્મિક લાગણી દુભાય નહીં તે માટે મહિલા પોલીસ કંપનીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એસઆરપીએફ, અને બે એસએફ કંપનીઓ છે, સ્થાનિક પોલીસ સાથે આસપાસના જિલ્લાઓના અધિકારીઓ પણ ડિમોલિશનની કામગીરીમાં સામેલ થઈ રહ્યા છે.”તેમણે કહ્યું કે સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનારાઓ પર નજર રાખવા માટે એક વિશેષ ટીમ રાખવામાં આવી છે ડ્રોન સર્વેલાન્સની વ્યવસ્થા કરવામાં આવી છે અને ડ્રોન સર્વેલાન્સની વ્યવસ્થા કરવામાં આવી છે.