જન્મદિન પહેલા ટીના અંબાણીને મોટો ઝટકો લાગ્યો હોવાની ખબરોએ ચર્ચા જગાવી છે. અંબાણી પરિવાર પર મોટી મુશ્કેલી આવી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. મુકેશ અંબાણીની નાની ભાભી ટીના અંબાણી સામે ધરપકડની તલવાર લટકતી હોવાની વાતો સામે આવી રહી છે.
ઈડી સમક્ષ હાજર ન રહેતા તેમની મુશ્કેલીઓ વધી ગઈ હોવાની માહિતી મળી રહી છે.માહિતી મુજબ, અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણીને ઈડી દ્વારા મની લોન્ડરિંગ કેસની તપાસમાં જોડાવા માટે સમન્સ પાઠવવામાં આવ્યો હતો. તેમને 10 ફેબ્રુઆરીએ તપાસ માટે હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ તેઓ ઈડી સમક્ષ હાજર ન થતા એજન્સીએ નવી તારીખ સાથે ફરીથી સખ્ત નિર્દેશ આપ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ તપાસ અનિલ અંબાણી અને તેમની ગ્રુપ કંપનીઓ સાથે જોડાયેલા અંદાજે 400 કરોડ રૂપિયાના કથિત મની લોન્ડરિંગ કેસ સાથે સંબંધિત હોવાનું જણાવવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ ઈડી દ્વારા ખાસ તપાસ ટીમ એટલે કે એસઆઈટીની રચના કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ મુજબ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ અને સંકળાયેલી કંપનીઓના બેંકિંગ અને કોર્પોરેટ ફંડની તપાસ માટે આ વિશેષ ટીમ બનાવાઈ છે.સમાચાર મુજબ 17 ફેબ્રુઆરીએ ટીના અંબાણી અને 18 ફેબ્રુઆરીએ અનિલ અંબાણીને એજન્સી સમક્ષ હાજર થવા કહેવામાં આવ્યું છે. ટીના અંબાણી પાસે ન્યૂયોર્કના મેનહેટનમાં ખરીદાયેલી એક લક્ઝરી કન્ડોમિનિયમ માટે ઉપયોગમાં લેવાયેલા નાણાંના સ્ત્રોત અંગે પૂછપરછ થવાની હતી.
તપાસ એજન્સીને આ લેવડદેવડમાં ગડબડ હોવાની શંકા છે.ઈડી છેલ્લા એક વર્ષથી અનિલ અંબાણી ગ્રુપ અને તેની સાથે જોડાયેલા અનેક વ્યવસાયો સામે વિવિધ કેસોમાં તપાસ કરી રહી છે. આ દરમિયાન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ત્રણ કેસ નોંધાયા હોવાનું કહેવામાં આવે છે અને 12,000 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરાઈ હોવાની માહિતી સામે આવી છે. એસઆઈટી ટીમ તમામ ટ્રાન્ઝેક્શન અને ગ્રુપની પ્રવૃત્તિઓની બારીકાઈથી તપાસ કરી રહી છે.તાજી માહિતી મુજબ રિલાયન્સ કમ્યુનિકેશનના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ પુનીત ગર્ગની ધરપકડ પણ કરવામાં આવી હતી અને તેમની પૂછપરછ દરમિયાન કેટલાક દસ્તાવેજો મળ્યા હોવાના દાવા છે. હવે જોવાનું રહ્યું કે આગામી 17 ફેબ્રુઆરીએ ટીના અંબાણી તપાસ માટે હાજર રહે છે કે નહીં.