મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને અન્ય ચાર લોકોના જીવ લેનારા બારામતી વિમાન અકસ્માત મામલે એક સનસનાટીભર્યો ખુલાસો થયો છે. યુરોપિયન એવિએશન સેફ્ટી એજન્સી (EASA) ના રિપોર્ટ મુજબ, જે ચાર્ટર ઓપરેટર VSR વેન્ચર્સ ના પ્લેનમાં આ અકસ્માત થયો, તે કંપનીને સુરક્ષા ખામીઓને કારણે એક વર્ષ પહેલા જ સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. આ કંપની ‘લેવલ-1’ ની ગંભીર સુરક્ષા ખામીઓ છુપાવવા બદલ દોષિત ઠરી હતી.
એવિએશન જગતમાં ‘લેવલ-1’ ફાઇન્ડિંગ એટલે સુરક્ષાના ધોરણોનું સૌથી ગંભીર ઉલ્લંઘન. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર:કંપનીએ સુરક્ષા તપાસ માટે જરૂરી અગાઉના અકસ્માતોના રિપોર્ટ અને મહત્વના દસ્તાવેજો એજન્સી સાથે શેર કર્યા નહોતા.
ઓક્ટોબર અને નવેમ્બર 2024 દરમિયાન EASA એ પાંચ વાર રિમાઇન્ડર મોકલ્યા છતાં કંપનીએ કોઈ જવાબ આપ્યો નહોતો.જૂના અકસ્માતોમાંથી બોધપાઠ નહીં: સપ્ટેમ્બર 2023માં મુંબઈમાં થયેલા લિયરજેટ 45 અકસ્માત બાદ શું સુધારા કર્યા તેની વિગતો પણ છુપાવવામાં આવી હતી.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે EASA એ આ સસ્પેન્શન અંગે ભારતની સૈન્ય ઉડ્ડયન નિયામક સંસ્થા DGCA ને પણ જાણ કરી હતી. આમ છતાં, આંતરરાષ્ટ્રીય સ્તરે અસુરક્ષિત જાહેર કરાયેલી કંપનીને ભારતમાં ઉડાન ભરવાની મંજૂરી કેવી રીતે મળી? તે હવે તપાસનો વિષય બન્યો છે. જો સમયસર આ ચેતવણીઓ પર ધ્યાન અપાયું હોત, તો કદાચ આ મોટી દુર્ઘટના ટાળી શકાઈ હોત.