મોરબી જિલ્લાના હળવદમાં મોગલ માતાજીના ભુવાના નામે લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવવામાં આવતી હતી જે અંગે ભારત જન વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા તે ભુવાને ઘરે જઈને તેની ધતિંગ લીલાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ ભુવાની સામે કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી.હળવદ શહેરમાં ધાંગધ્રા દરવાજાની અંદરના ભાગમાં આવેલ વિસ્તારમાં ફિરોજભાઈ સંધિ કે જે પોતાને મોગલ માતાજીનો ભુવો છે
તેવું કહે છે અને છેલ્લા દસ વર્ષથી ઘરમાં માતાજીનો મઢ નાખીને લોકોના દુ:ખ દર્દ મટાડવાનું કામ કરે છે તથા દર રવિવારે અને મંગળવારે દુ:ખી લોકોને જોવાનું કામ કરે છે તેમજ માતાજીની પાઠ નાખી નિસંતાનને સંતાન આપવાની ક્રિયાકાંડો તથા લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ કરે છે.અને મેરુપરની વાડીના રસ્તેથી પોતાને માતાજી મળ્યા છે તેઓ દાવો કરીને ઘરમાં મઢની સ્થાપના કરી છે અને પોતે ત્રણ દીકરી અને દીકરાની જાહેરાત કરી હતી
જે ખોટી પડી છે આવું જાથાની ટીમના જયંતભાઈ પંડ્યા એ જણાવ્યું છે અને તેઓને મળેલી ફરિયાદ આધારે તેઓ પોતાની ટીમ સાથે ફિરોજભાઈ સંધિના ઘરે પહોંચ્યા હતા અને તેને અંધશ્રદ્ધા ફેલાવવાનું, લોકોને બ્રહ્મમાં નાખવાનું, મોગલ મા ની માનતા રાખવાનું અને મંગળવારની ટેક રાખવાનું બંધ કરાવવા માટે થઈને કહ્યું હતું.
જો કે ફિરોજભાઈ સંધિએ જાથાની ટીમને એવું કહ્યું હતું કે હું માતાજીમાં માનું છું, માતાજીના પાઠ કરું છું અને લોકો શ્રદ્ધાથી મારે ત્યાં આવે છે હું કોઈને ના પાડીશ નહીં જેથી કરીને આ બાબતે જાથાની ટીમના મહિલા સભ્ય દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોતાની જાતને મોગલ માતાનો ભુવો ગણાવતા ફિરોજભાઈ સંધિ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે થઈને લેખિતમાં અરજી આપી છે જેથી કરીને હળવદ પોલીસે ગુનો નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
10 વર્ષથી ઘરમાં માતાનો મઢ બનાવી નિસંતાનને સંતાનની ટેક રખાવતો, સમજાવટ છતાં કહ્યું- હું કોઈને ના પાડીશ નહીં’