ટેલિવિઝનની દુનિયામાં કેટલાક નામ એવા હોય છે જે ફક્ત સ્ટાર નથી પરંતુ એક આખો યુગ બની જાય છે. એવો જ એક ચહેરો, જેણે 2000ના દાયકાની શરૂઆતમાં લગભગ દરેક ભારતીય ઘરના ટીવી સ્ક્રીન પર રાજ કર્યું હતું. એ નામ છે અમર ઉપાધ્યાય.આજે ભલે ટીવી પર હજારો કલાકારો જોવા મળે, પરંતુ તે સમયમાં અમર ઉપાધ્યાયે જે દીવાનગી સર્જી હતી, એવી દીવાનગી કદાચ ફરી કોઈને મળવી મુશ્કેલ છે. અમરનો જન્મ 1 ઑગસ્ટ 1976ના રોજ અમદાવાદમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમનું શિક્ષણ મુંબઈમાં થયું. આશ્ચર્યની વાત એ છે કે અભિનય ક્ષેત્રમાં આવતાં પહેલાં તેઓ કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા હતા.કિસ્મતને કંઈક જુદું જ મંજૂર હતું.
અમરે કેમિકલ એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા બાદ અભિનયમાં પોતાનું સપનું સાકાર કરવા માટે ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન સંસ્થા એટલે કે FTIIમાં પ્રવેશ લીધો. તેમની કિસ્મત ત્યારે ચમકી જ્યારે એક લોકપ્રિય મેગેઝિનમાં તેમની કેટલીક તસવીરો પ્રકાશિત થઈ. આ તસવીરો જોઈને જયા બચ્ચન એટલી પ્રભાવિત થઈ ગઈ કે તેમણે અમરને પોતાના લોકપ્રિય શો ‘દેખ ભાઈ દેખ’માં ભૂમિકા માટે આમંત્રણ આપ્યું. આ શોમાં તેમણે સાહિલ દીવાનનો રોલ કર્યો.પછી અમરને આરઝૂ, સુહાના સફર અને મેહંદી તેરે નામ કી જેવા અનેક ધારાવાહિકોમાં જોવા મળ્યા. પરંતુ અમરને અસાધારણ લોકપ્રિયતા ત્યારે મળી
જ્યારે તેમણે એકતા કપૂરના ક્લાસિક શો ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’માં મિહિર વિરાણીનું પાત્ર ભજવ્યું. મિહિર વિરાણી ફક્ત એક પાત્ર નહોતું, પરંતુ તે ભારતની દરેક માતા માટે આદર્શ પુત્ર અને દરેક પત્ની માટે આદર્શ પતિ બની ગયો હતો.અમરે સ્મૃતિ ઈરાની સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેમણે તેમની ઑનસ્ક્રીન પત્ની તુલસી વિરાણીનો રોલ કર્યો હતો. અમરની લોકપ્રિયતાનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે જ્યારે વર્ષ 2001માં તેમના પાત્ર મિહિરનું મૃત્યુ બતાવવામાં આવ્યું, ત્યારે અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન થયા. ચેનલના મુખ્યાલય પર હજારો પત્રો અને ફોન કોલ આવ્યા કે મિહિરને મારવાનો નિર્ણય ખોટો છે.એકતા કપૂરે મિહિરના મૃત્યુને સ્ક્રીન પર એટલું ભાવનાત્મક રીતે રજૂ કર્યું કે સમગ્ર દેશમાં હંગામો મચી ગયો. સ્થિતિ એવી હતી કે રિયલ લાઈફમાં તેમની મોત સમજીને ઈમેલ સર્વર અને ટેલિફોન લાઈનો સુધી ક્રેશ થઈ ગઈ. અહીં સુધી કે અમરની પોતાની માતા પણ રડી પડી હતી,
જ્યારે અમર તેમની બાજુમાં જ બેઠા હતા.મિહિરના મૃત્યુનો પ્રભાવ એટલો ઊંડો હતો કે સફેદ કપડાં પહેરેલી લગભગ પંદર-વીસ મહિલાઓ શોક વ્યક્ત કરવા સીધી અમરના ઘરે પહોંચી ગઈ. જ્યારે અમરની માતાએ પૂછ્યું કે તમે સફેદ કપડાં કેમ પહેર્યા છે, ત્યારે મહિલાઓએ કહ્યું કે અમે મિહિરના મૃત્યુનો શોક મનાવવા આવ્યા છીએ. અમરને જીવંત જોઈને તેઓ ચકિત રહી ગઈ અને પછી અમરની માતાની ડાંટ પણ ખાવા પડી.આ તમામ વિરોધોના પરિણામે નિર્માતાઓને મિહિર વિરાણીને ફરી શોમાં લાવવા પડ્યા. મિહિર તરીકેની અસાધારણ લોકપ્રિયતાને કારણે અમરને વાસ્તવિક જીવનમાં પણ અનેક મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો. વર્ષ 2000માં એક વખત અમર પોતાના બાળક અને મિત્ર સાથે તાજમહેલ જોવા ગયા હતા. ભીડમાંથી કોઈએ તેમને મિહિર તરીકે ઓળખી લીધા અને થોડા જ સમયમાં ત્યાં સૈકડો લોકો ભેગા થઈ ગયા.પરિસ્થિતિ સંભાળવા માટે પોલીસ અને લગભગ 60 સુરક્ષાકર્મીઓએ અમરને ઘેરી લીધા.
પરંતુ ભીડે પોલીસને ધક્કા મારીને અમર સુધી પહોંચી ગઈ. લોકો તેમને ખેંચી રહ્યા હતા, ધક્કા મારી રહ્યા હતા અને ફોટોગ્રાફરો તેમની તસવીરો લેવા માટે બેફામ બન્યા હતા. આ દરમિયાન કોઈએ અમરની ટી-શર્ટ પણ ફાડી નાખી. જ્યારે અમર કોઈ રીતે ભીડમાંથી બહાર નીકળ્યા, ત્યારે તેમના કપડા ફાટેલા હતા અને આખા શરીર પર નખના નિશાન, ખરોંચ અને ઇજાઓ હતી.સ્મૃતિ ઈરાની સાથે અમરની ઑનસ્ક્રીન કેમિસ્ટ્રી શાનદાર રહી, પરંતુ વાસ્તવિક જીવનમાં તેઓ પોતાની પત્ની હેતલ ઉપાધ્યાય પર સંપૂર્ણ રીતે મોહિત હતા. અમરે બહુ નાની ઉંમરે હેતલ સાથે લગ્ન કર્યા હતા. તેમની પહેલી મુલાકાત ત્યારે થઈ હતી જ્યારે તેઓ પોતાના માતા-પિતા સાથે એરેન્જ મેરેજ માટે હેતલને મળવા ગયા હતા.હેતલની સાદગી, સરળ સ્વભાવ અને ઈમાનદારી અમરને એટલી ગમી ગઈ કે તેમણે તરત નક્કી કરી લીધું કે હેતલ જ તેમની જીવનસાથી બનશે. બંનેએ વર્ષ 1999માં લગ્ન કર્યા, ત્યારે અમરની ઉંમર માત્ર 23 વર્ષની હતી.
હેતલ પોતે એક એન્જિનિયર અને સફળ બિઝનેસવુમન છે. તેઓ રિયલ એસ્ટેટ ડેવલપર છે અને પોતાના પતિની રિયલ એસ્ટેટ કંપની જલરામ ઈકો હોમ્સમાં સક્રિય ભૂમિકા ભજવે છે.અમર અને હેતલને બે સંતાન છે, એક દીકરો અને એક દીકરી. ફરવા જવાની અને ફિલ્મો જોવાની શોખીન આ જોડીએ લગ્નજીવનના 25 વર્ષથી વધુ સમય પૂરા કર્યા છે અને આજે પણ તેમનો સંબંધ એટલો જ મજબૂત અને પ્રેમાળ છે.મિહિર તરીકે મળેલી બેશુમાર લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને અમરે 2002માં જનરેશન લીપ બાદ શો છોડ્યો અને બોલીવુડ તરફ વળ્યા. તેમણે ધૂંધ, જોડી ક્યા બનાવી, વાહ વાહ રામજી જેવી ફિલ્મોમાં કામ કર્યું.
પરંતુ ટીવી પર જે લોકપ્રિયતા મળી હતી, તે ફિલ્મોમાં જાળવી શક્યા નહીં. તેમની ફિલ્મો બોક્સ ઑફિસ પર ખાસ સફળ રહી નહીં.આ બાદ અમરે થોડો સમય ટીવીથી અંતર રાખ્યું. જ્યારે તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો, ત્યાં સુધીમાં ટીવી ઇન્ડસ્ટ્રી ઘણી બદલાઈ ચૂકી હતી. તેમ છતાં અમરે હાર ન માની અને ફરી નાના પડદા પર વાપસી કરી. તેમણે કસૌટી જિંદગી કી, સાથ નિભાના સાથિયા, એક દીવાના થા અને મોલકી જેવા સીરિયલોમાં કામ કર્યું. તેમણે બિગ બોસ 5માં પણ ભાગ લીધો અને તાજેતરમાં ભૂલ ભૂલૈયા 2માં પણ નજર આવ્યા.અમર ઉપાધ્યાય આજે પણ એવા થોડાક કલાકારોમાંના એક છે, જેમને લોકો તેમના અસલી નામ કરતાં તેમના પાત્ર મિહિરના નામથી વધુ ઓળખે છે.