બોલીવૂડ અભિનેતા રાજપાલ યાદવ ને ચેક બાઉન્સ કેસમાં અંતે જામીન મળી ગયા છે. ₹9 કરોડની રકમ ન ચૂકવવાના મામલે કોર્ટના આદેશ અનુસાર તેમણે તિહાર જેલમાં સરેન્ડર કર્યું હતું. અગાઉ રાજપાલ યાદવે જણાવ્યું હતું કે બોલીવૂડમાં તેમનો કોઈ એવો નજીકનો મિત્ર નથી જે આ મુશ્કેલીમાં તેમની મદદ કરી શકે.
પરંતુ તેમના આ નિવેદનનો વિડિયો વાયરલ થયા બાદ સોનુ સૂદ થી લઈને સલમાન ખાન સુધીના મોટા કલાકારો તેમની મદદ માટે આગળ આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા. શરૂઆતમાં શુક્રવારે કોર્ટ દ્વારા તેમને જામીન મળ્યા નહોતા, કારણ કે તેમણે અનેક વખત દંડ ભરવાનો દાવો કર્યો હતો
પરંતુ ચુકવણી કરી નહોતી. ત્યારબાદ શનિવારે કોર્ટ દ્વારા તેમને જામીન મંજૂર કરવામાં આવ્યા.જેલમાંથી બહાર આવ્યા બાદ રાજપાલ યાદવનો એક જુનો વિડિયો ફરીથી સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો 2018નો છે, જેમાં તેઓ જેલમાંથી છૂટ્યા બાદ સલમાન ખાન વિશે વાત કરતાં જોવા મળે છે.
તે સમયે પણ તેમને સલમાન ખાનની મદદથી જામીન મળ્યા હતા. વિડિયોમાં તેમણે સલમાન ખાનનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે તેઓ તેમના ઘરે જઈને વ્યક્તિગત રીતે મળવા ઇચ્છે છે. હાલની પરિસ્થિતિમાં રાજપાલ યાદવે સલમાન ખાન વિશે કોઈ નવું નિવેદન આપ્યું નથી.આ સમગ્ર મામલો 2012થી શરૂ થયો હતો, જ્યારે રાજપાલ યાદવે ફિલ્મ અતા પતા લાપતા નું નિર્દેશન કર્યું હતું. ફિલ્મની નિર્માતા તેમની પત્ની હતી.
આ ફિલ્મ બનાવવા માટે તેમણે આશરે ₹5 કરોડનું લોન લીધું હતું, જે વ્યાજ સાથે વધીને ₹9 કરોડ થયું. ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી નહોતી, જેના કારણે તેમને ભારે આર્થિક નુકસાન થયું અને તેઓ લોન પરત કરી શક્યા નહોતા.કોર્ટ દ્વારા તેમને અનેક વખત ચૂકવણી માટે તક આપવામાં આવી હતી, પરંતુ રકમ ભરાઈ ન જતા અંતે કડક વલણ અપનાવવામાં આવ્યું અને તિહાર જેલમાં સરેન્ડર કરવાનો આદેશ આપવામાં આવ્યો. રાજપાલ યાદવે 5 ફેબ્રુઆરીએ કોર્ટના આદેશનું પાલન કરીને સરેન્ડર કર્યું હતું.હાલ તેઓ જામીન પર બહાર છે. સલમાન ખાન વિશેનો આભાર વ્યક્ત કરતો વિડિયો જૂનો હોવા છતાં હાલ ફરીથી વાયરલ થઈ રહ્યો છે.